માનવતાની જ્યોત, 5,000થી વધુ ગરીબ પરિવારોને મફત ધાબળા આપ્યા

By: Nation Gujarat Team
19 Nov, 2025
અમરેલી: સાવરકુંડલા સ્થિત સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માનવતાની અનોખી જ્યોત પ્રગટાવતો એક ભવ્ય અને પ્રેરક કાર્યક્રમ યોજાયો હતો. પોતાની ઉમદા પરંપરાને જાળવી રાખીને, આ વર્ષે પણ 5,000થી વધુ અતિ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારને શિયાળાની આકરી ઠંડીથી રક્ષણ પૂરું પાડવા માટે વિના મૂલ્યે ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દર વર્ષની પરંપરાનું પાલન અને માનવસેવાના પ્રતિબદ્ધતા સાથે, ટ્રસ્ટ દ્વારા શિયાળાની આકરી ઠંડીની શરૂઆત થતાં જ, ગરીબ અને નિરાધાર લોકોને ઠંડી સામે આવશ્યક રક્ષણ મળી રહે તેવા શુભ આશયથી 5,000થી વધુ ઉચ્ચ ગુણવત્તાના ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યક્રમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ પવિત્ર સેવાયજ્ઞનું આયોજન પીન્ટુભાઈ મલેકના નિવાસસ્થાને, નેરા વિસ્તાર, સાવરકુંડલા ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંતો-મહંતો, સાદાતો તેમજ શહેરના અગ્રણીઓ, રાજકીય અને સામાજિક આગેવાનો અને અઢારે વરણના ધર્મપ્રેમી નાગરિકોએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. આ ભવ્ય માનવસેવાના કાર્યક્રમને સફળ બનાવવા માટે સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પીન્ટુભાઈ મલેક અને ઉપપ્રમુખ ઈરફાનભાઈ ગોરી અને સમગ્ર ટીમે ખાસ જહેમત ઉઠાવી હતી. ટ્રસ્ટ દ્વારા વરસાદથી રક્ષણ માટે તાલપત્રીનું વિતરણ અને અન્ય સેવાકીય કાર્યો પણ નિયમિતપણે કરવામાં આવે છે.
પીન્ટુભાઈ મલેકે જણાવ્યું કે, “અમે ખુશ છીએ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ 5,000 થી વધુ ગરીબ પરિવારોને ધાબળા વિતરીત કરી તેમની સેવા કરી શક્યા છીએ. માનવસેવા એ જ અમારી નમ્ર ઇચ્છા છે. આ કાર્યને સફળ બનાવવા માટે સાથ આપનાર દરેકનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.” વધુમાં, કાર્યક્રમમાં હાજર તમામ લોકો માટે ટ્રસ્ટ દ્વારા બટુક ભોજન (સમુહ ભોજન) ની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ભવ્ય આયોજન સાવરકુંડલામાં માનવતા અને સેવાભાવના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે યાદગાર બની રહ્યું છે, જે સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવે છે.

Related Posts

Load more